શાણા સો પણ અક્કલ એક - Shana so pan akkal eka - Bed Time Story



એક વખત અકબરે કોઈની પાસે કહેવત સાંભળી કે માણસે માણસે વિચાર જુદા. એણે બીરબલને બોલાવીને પૂછયું, "બીરબલ, આ કહેવતમાં કહેવાયું છે એવું જ હમેશાં બનતું હશે ? "



બીરબલ કહે, ‘“ના હમેશાં આ કહેવત પ્રમાણે માણસનું વર્તન ન પણ હોય. એમ તો આનાથી ઊંધી કહેવત પણ છે – શાણા સો પણ અક્કલ એક.” બાદશાહને આ બીજી કહેવતમાં વધારે રસ પડયો. એણે બીરબલને કહ્યું,’ “તું આમ ફકત કહેવત કહી દે એ ન ચાલે. મને એ સાબિત કરી બતાવ.”



બીરબલ કહે, “જ્યારે પોતાના સ્વાર્થની વાત હોય ત્યારે બધાજ માણસોને એક સરખો વિચાર આવે છે. એમાં સાબિતીની જરૂર હોતી નથી.” પણ અકબર માન્યો નહીં. બીરબલે કહ્યું, “સારું, તમને સાબિતી પણ મળશે.”



બીજા દિલસે બીરબલે બાદશાહના મહેલના હોજને ખાલી કરાવી દીધો. પછી નગરમાં ઢંઢેરો પિટાવ્યો, “આજે રાત્રે નગરના દરેક નગરજને બાદશાહના મહેલના ખાલી હોજમાં એક-એક લોટો દૂધ રેડી જવું.”



સવાર થતાં જ બીરબલ અકબરને હોજ પાસે લઈ ગયો. હોજ જોતાં જ અકબરની આંખો પહોળી થઈ ગઈ. તે મોટેથી બરાડી ઊઠ્યો, “આ શું, હોજમાં દૂધને બદલે પાણી ! મારા હુકમનો આવો અનાદર!”



અકબર તો ગુસ્સામાં બોલતો ગયો “આવું બને જ કેમ ? ઢંઢેરો પિટવવામાં જ કંઈ ભૂલ થઈ હશે ! લોકોને સમજવામાં કંઈ ભૂલ થઈ હશે! લોકો મારા હુકમનું પાલન ન કરે એવું બને જ નહિ ?”



બીરબલે અકબરને શાંતિથી કહ્યું, "હજૂર, તમે માનો છો એવું કશું જ બન્યું નથી. સાચી વાત તો એ છે કે બધાએ જાણી જોઈને હોજમાં દૂધને બદલે પાણી રેડ્યું છે.‘’



અકબર કહે, “તું કહે છે એમ જ થયું હશે એવું હું કેવી રીતે માની લઉં ?” બીરબલ કહે, “ચાલો મારી સાથે.” બંને જણ વેશ બદલીને ઊપડ્યા. નગરમાં ચાલતાં તેઓ એક શેઠની હવેલી પાસે આવ્યા. શેઠે પૂછયું, “કોણ?” બીરબલ કહે, “અમે વટેમાર્ગુ છીએ. થોડીવાર રોકાઈને આગળ જવું છે.” શેઠ કહે, “ભલે, આવો.”



બંને ઘરમાં ગયા. પાણી પીધું. પછી આરામથી બેઠા. બીરબલે કહ્યું, “શેઠ! તમારા બાદશાહે એમના હોજમાં બધાયને એક –એક લોટો દૂધ રેડવાનો હુકમ કર્યો હતો એ વાત સાચી છે ?”



શેઠ કહે, "હા, એ સાચું છે. "



બીરબલે કહ્યું, “કોઈને પણ આવી વાત ગમે નહીં પણ થાય શું? બાદશાહનો હુકમ હોય એટલે એવું કરવું તો પડે જ ને?”



શેઠે કહ્યું, “એ તો હુકમ આપનારા તો ગમે તે હુકમ આપ્યા કરે પણ આપણામાં તો બુદ્ધિ હોય ને ?”



બીરબલ કહે, “એટલે ?”



શેઠ કહે, “જુઓ ! કોઈને કહેતા નહીં, હોં. મેં તો દૂધને બદલે એક લોટો પાણી જ રેડી દીધું. રાતના અંધારામાં કોને દેખાવાનું હતું ? વળી આખા નગરના લોકો દૂધ રેડવાના જ હતા. એમાં હું એક લોટો પાણી નાખું તો શો ફરક પડવાનો હતો.”



અકબર અને બીરબલ શેઠની રજા લઈને ચાલતા થયા. આવી રીતે તેઓ અનેક ઠેકાણે ફર્યા. બધેથી એક જ વાત સાંભળવા મળી, “હોજમાં બધા જ દૂધ રેડવાના હતા ત્યાં અંધારામાં પાણીનો મારો લોટો કોણ પકડી શકવાનું હતું ?” આવું વિચારી દરેકે હોજમાં દૂધને બદલે પાણી જ રેડ્યું હતું.



બીરબલ કહે, “હજૂર ! હજુ વધારે તપાસ કરવા જવું છે ?” અકબર બોલ્યો, “ના, ના. આટલું બસ છે. તું સાચું કહે છે. પોતાના સ્વાર્થની વાત આવે ત્યારે બધા જ માણસો એક સરખો જ વિચાર કરતા હોય છે.”



બીરબલ કહે, “તેથી તો કહેવત પડી છે કે શાણા સો, પણ અક્કલ એક.”