શિયાળનો ન્યાય - Shiyadno Nyay - Kids Story

એક પંડિતજી હતા. તે ભારે દયાળુ હતા. એક દિવસ તે બહારગામ જવા નીકળ્યા. ચાલતાં ચાલતાં જંગલ આવ્યું. જંગલમાં એમણે પાંજરામાં પુરાયેલો સિંહ જોયો.

સિંહે પંડિતજીને જોઈને વિનંતી કરી, ‘હે પંડિતજી! તમે તો દયાળુ છો. મને પીંજરામાંથી બહાર કાઢો. તમને હું સોનામહોરથી ભરેલી થેલી આપીશ!’

પંડિતજીને થયું, સોનામહોરથી ભરેલી થેલી! વાહ! મારું નસીબ ઊઘડી ગયું. પંડિતજીએ લાંબો વિચાર કર્યા વિના સિંહને પાંજરામાંથી બહાર કાઢ્યો. બહાર નીકળ્યો એટલે સિંહ કહે, ‘મને ભૂખ લાગી છે. હવે હું તમને ખાઈ જઈશ.’

પંડિતજી બહુ કગરર્યા પણ સિંહ કહે, ‘ના હું તો તમને ખાઈશ.’ એટલામાં ત્યાં એક શિયાળ આવ્યું. પંડિતજીએ બધી વાત તેને કરી, પોતાનો ન્યાય કરવા કહ્યું.

શિયાળ કહે, ‘ન્યાય કરવો ખૂબ અઘરો છે. તમે મને સમજાવો કે સિંહ પહેલાં ક્યાં હતો ને પંડિતજી તમે ક્યાં હતાં?’

આવું સાંભળી સિંહ કૂદકો મારી પાંજરામાં જઈ ઊભો રહ્યો ને બોલ્યો, ‘હું પહેલા અહીં ઊભો હતો.’

પંડિતજીએ સિંહને પાંજરાંમાંથી કઈ રીતે બહાર કાઢ્યો તે સમજાવ્યું. શિયાળે પાંજરા પાસે જઈ તેનો દરવાજો બંધ કરી દીધો ને બોલ્યું, ‘સિંહરાજ તમે પાંજરામાં હતા ત્યારે આમ જ દરવાજો બંધ હતો ને?’

સિંહે કહ્યું, ‘હા.’

શિયાળ બોલ્યું, ‘પંડિતજી તમે હવે આગળ ચાલવા માંડો. સિંહ ઉપર તમે ઉપકાર કર્યો છતાં તે તમને મારી નાખવા તૈયાર થયો તેથી સિંહરાજ પાંજરામાં જ સારા’ એમ કહીને તે પણ જંગલમાં જતું રહ્યું.

વગર વિચારે જાતે ઊભી કરેલી આફતમાંથી પંડિતજી ઉગરી ગયા.